Friday, June 4, 2021

પ્રકૃતિની ગોદમાં વિધાર્થીઓના જીવનનું ઘડતર કરતી નિશાળ...

પ્રકૃતિનું સાનિધ્યમાં પરમ સુખ,શાંતિ અને હ્રદયને હાશકારો મળતો હોય છે.પ્રકૃતિ અને શિક્ષણ નો નાતો વર્ષોની આપણી પરંપરા રહી છે.ભારતીય સંસ્કૃતિ ના પ્રાચીનકાળમાં આપણે ડોકીયું કરીએ તો એવા અનેક ઉ.દા.આપણા માનસપટ પર અલગ તરી આવશે.આપણી ઋષિ પરંપરામાં શિક્ષણ, જીવનધડતરના પાઠો જંગલમાં આવેલ આશ્રમોમાં પ્રાપ્ત થતું.બાળ કેળવણીકાર ગિજુભાઈ બધેકાના પુસ્તકમાં પણ પ્રકૃતિનું સાનિધ્ય શિક્ષણ માટે ઉત્તમ હોય એ વાતનો સ્વીકાર થયો છે.ત્યારે હાલ સમયને બદલાતા સગવડિયા સમયમાં સિમેન્ટ કોંક્રિટના ઓરડામાં બાળકોને ભાગ્યેજ પ્રકૃતિનું સાનિધ્ય મળે છે. ખાસ કરીને શહેરોમાંતો આ માત્ર કલ્પના જ બની જાય! આજે વાત કરવી છે,બનાસકાંઠા જિલ્લાના રાજસ્થાન સરહદે આવેલા ધાનેરા તાલુકાની પ્રાથમિક શાળાઓની.પાણીની અછત વાળો જિલ્લો અને તાલુકો,રણપ્રદેશથી ધેરાયેલો,સરહદી ક્ષેત્રમાં પણ પ્રાથમિક શાળાઓ હરિયાળી.જાણે લીલી ચાદર ઓઢી હોય એમ! હા, બધુ જ શકય બન્યું છે વિષમ પરિસ્થિતિમાં પણ.કારણ માત્ર શિક્ષકોની ધગશ અને મહેનત,ગામલોકોના સહકાર થકી. ચાલો! જાણીએ આવી નિશાળો વિશે...
1. શેરગઢ (જ) અનુપમ પ્રાથમિક શાળા. ધાનેરાથી 20 કિ.મી.અંતરે આવેલી શાળા.મુખ્યત્વે ભુગર્ભ જળની અછતવાળો વિસ્તાર.ધોરણ 1 થી 8ની પ્રાથમિક શાળા.આ શાળામાં અમરતભાઈ પનાભાઈ પટેલ નામે યુવા આચાર્ય ફરજ તરીકે જોડાય છે.શરુઆતથી જ કંઈક કરી છુટવાની વિચારધારા વાળા,મહેનતું અને ઈનોવેટિવ આચાર્ય અને વહીવટી સંકલનની કુનેહ તો ખરી જ! શાળામાં આવતાની સાથે જ સૌપ્રથમ શાળાના વાતાવરણમાં બદલાવ માટે શાળાના પર્યાવરણ પર ભાર મુકયો. શિક્ષકો, ગ્રામજનો, આગેવાનો અને બાળકો સાથે સંકલન શરું કર્યુ. શાળામાં એકસુત્રતા નું વાતાવરણ ઊભું કર્યુ. આચાર્યશ્રી અમરતભાઈ ના શબ્દોમાં કહું તો એવી શાળા કે જયાં બાળકોને નિર્ભય રીતે આવવું,બેસવું,ભણવું અને રમવું ગમે.એવી શાળા એમનું એક સ્વપ્ન છે. શ્રી શેરગઢ (જ.) અનુપમ પગાર કેન્દ્ર શાળા તા:ધાનેરા જી:બનાસકાંઠા માં રાજસ્થાનના સરહદે આવેલી છે.આ શાળામાં છેલ્લા ઘણા સમયથી તાલુકા અને જીલ્લાની મોખરાની નામના ધરાવતી શાળા બની છે. આ શાળામાં થોડાક સમય પહેલા શાળા એક જર્જરિત મકાનમાં તથા ૩૫૦ વિદ્યાર્થીઓ અને ૮ શિક્ષકો દ્વારા ચાલતી હતી.આ બાજુ કુદરતના પ્રકોપ સામે ઝઝૂમી રહેલી(૨૦૧૫ અને ૨૦૧૭ ના પુરને લીધે શાળાને ખુબ નુકશાન થયું હતું) એ શાળાએ થોડાક સમયથી તેમાં ઘણા બધા ફેરફારો અને નવાચારથી નવીનતા મેળવતી શાળા બની છે. મારી આ શાળાની શુભ શરૂઆત એક સુંદર ગુંજન અનુપમ પ્રાર્થનાથી થાય છે.તેમાં કુદરતના સાનિધ્યમાં બાળકો ધ્યાનની સાથે એક મેકની સાથે આત્માનું પરમાત્મા સાથેનું જોડાણ સાધવાનું કામ પ્રાર્થના સંમેલનથી થાય છે.તેમાં શાળાની આખા દિવસની દિનચર્યા પર નજર નાખવામાં આવે છે.શાળામાં સ્વચ્છ અને સમયપાલન બદ્ધ એવા બાળકને ગુલાબ આપીને આજનું ગુલાબ જેવી પ્રવૃત્તિથી બાળકોને સ્વચ્છતામાં વધારો થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે.અને જન્મદિવસની ઉજવણી એ બાળકોમાં આનદમાં વધારો થાય તે રીતે બાળકોનું માંન-સન્માન કરવામાં આવે છે.પ્રાર્થના સંમેલનમાં દરરોજ એક ગુરુજી ગુરુવાણી કહીને બાળકોને બોધ આપતી વાર્તા રજુ કરાય છે.જેમાં બાળકો જાતે બોધ પ્રાપ્ત કરે તેવી રીતે વાતને રજુ કરવામાં આવે છે.અમુક વાર્તાતો અઠવાડિયા સુધી ચાલે તેવી કહેવામાં આવે છે જેથી બાળકોને આગળ જાણવાની ઈચ્છા જગાડવામાં આવે છે.પ્રાણીઓ અને પક્ષીઓની સાથે સહાનુભુતિ કેળવે અને બાળકોની અંદર મિત્રતા બંધાય તે માટે દર સોમવારે બાળકો એક મુઠ્ઠી અનાજ લેતા આવે,એકત્ર કરે અને દરરોજ તેમને ચબૂતરે આપી આવે એ રીતે બાળકોમાં જીવ માત્ર પર દયાની લાગણી જન્મે છે.એની સાથે પાણીનું કુંડુ લગાવીને પક્ષીઓ પોતાની તરસ છીપાવે છે. તદ ઉપરાંત બાળકો,શિક્ષકો અને ગામના લોકો પોતાની યથા શક્તિ પ્રમાણે અક્ષય દ્રવ્ય પેટીમાં નાણા એકત્ર થાય.તે નાણા કોઈક ગરીબ બાળકોને તેમની જીવન જરૂરિયાત માટે ખર્ચ કરવામાં આવે છે.તેનાથી બાળકોમાં આનંદની લાગણી અનુભવાય છે.મારી શાળામાં એક આંખે ઉડીને વળગી જાય તેવી પ્રવૃત્તિ પૈકી રામહાટ છે. જેમાં વિદ્યાર્થીઓ પોતાની રીતે સંચાલન કરે અને હિસાબ પણ રાખે છે.આ ચાલુ સાલ દરમ્યાન ૩૦૦૦૦ જેટલી માતબર રકમની વસ્તુઓ બાળકોએ ખરીદી હતી.બજાર કરતા સસ્તી અને સારી વસ્તુ મળી રહે તે માટે આ હાટ બાળકોને ખુબ ઉપયોગી બની રહે છે.મારી શાળામાં બાળકો અને શિક્ષકોએ જાતે તૈયાર કરેલ ઔષધબાગ એ શાળાની મહામુલી મૂડી છે.તેમાંથી મધ્યાહન-ભોજનમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે.શાળાબાગ એ શાળાની સુંદરતા વધારે છે.બાળકોને વિરામ સમયમાં કર્ણપ્રિય સંગીત સાથે એ સમયને ગાળે છે.વર્ષ દરમ્યાન આવતા તહેવારોની ઉજવણી બાળકોના આનદ સાથેની અનુભૂતિ અને જ્ઞાનમાં વધારો કરે છે.મારી શાળામાં લોકસહયોગ ખુબ જ સારી રીતે મળી રહે છે.તેમાં શાળાની જરૂરિયાતની વસ્તુઓ તથા શાળા ઉપયોગી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે છે.એસ.એમ.સી.કમિટીના સભ્યો શાળામાં બાળકોની હાજરી પર ખુબજ મદદ કરે છે.તેનાથી નામાંકન,ગુણવતા અને હાજરીમાં ખુબ જ શુધારો જોવા મળ્યો છે.મારી શાળાના શિક્ષકો કોચિંગ કલાસ આપીને બાહ્ય પરિક્ષાઓમાં સારી એવી સફળતા મેળવી છે. અમારી શાળાને વર્ષ:૨૦૧૭-૧૮ નો શાળા સ્વચ્છતા એવોર્ડ મેળવેલ છે.આમ આમારી શાળા,શાળા પરિવાર,એસ.એમ.સી. કમિટી,વાલીમંડળ,ગામલોકોના સહકારથી તાલુકની શ્રેષ્ઠ શાળાઓમાં ગણના થાય છે. શરુઆતના દિવસોની સ્વ મહેનત કરી શાળામાં વિવિધ પ્રકારના બાગબાની નાના મોટા છોડવાઓ વાવ્યા.એમના માવજત માટે બાળકોની એક ટીમ બનાવી જવાબદારી સોંપી.સમગ્ર સંચાલન બાળકો જાતે કરે શિક્ષકો માર્ગદર્શન અને દેખરેખની ભુમિકા ભજવે.ચારેક વર્ષની મહેનત છેવટે રંગલાવી ખરા!આજે શાળા પ્રકૃતિની ગોદમાં હોય એવું નયનરમ્ય દ્રશ્ય છે આ શાળાનું. ગ્રામજનો શિક્ષકોની મહેનત જોઈને એકસાથે એમની પડખે ઊભા છે. જરુર પડે ત્યાં આર્થિક યોગદાન આપે છે. આ લીલોતરીમા બગીચાના માળી તરીકે અમરતભાઈ ની ભૂમિકા અમુલ્ય રહી છે. તેઓ જાતે જ માવજત, પાણી પાવુ અને કટીંગ નું કામ કરે છે.
આ પ્રકૃતિના સાનિધ્યમાં બાળકો એમના જીવન ઘડતરની તાલીમ મેળવી રહ્યા છે. શાળામાં મા સરસ્વતી દેવીનું મંદિર પણ છે. શાળાના દિવસની શરૂઆત આ મંદિર પાસે સમૂહ પ્રાર્થનાથી થાય છે.
બાળકો પક્ષીઓ પ્રત્યે સંવેદનશીલ બને. પક્ષીઓને પણ આ ધરતી પર જીવનનો હક છે. બાળકોમાં પક્ષીઓ પ્રત્યે સવેદના, લાગણી જાગે એ હેતુથી શાળામાં સુંદર ચબુતરાનુ (અક્ષયપાત્ર) નિર્માણ થયેલ છે. આ શાળાને તાલુકા કક્ષાએ સ્વચ્છ શાળા પુરસ્કાર તથા અનુપમ શાળા પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે. હાલ આ શાળા તીર્થ શાળામાં આગળ વધી રહી છે. આજે સુકા વિસ્તારમાં પણ આવી હરિયાળી નિશાળમાં પ્રકૃતિની ગોદમાં ઉત્તમ શિક્ષણ મેળવી રહ્યા છે બાળકો. પર્યાવરણ ક્ષેત્રમાં ઉમદા કાર્ય બદલ સમસ્ત શાળા પરિવારને અભિનંદન. સંકલન:- વંશ માલવી.

6 comments:

  1. ઉત્સાહી,ખન્તિલા આચાર્ય છે અમ્રતભાઈ

    ReplyDelete
  2. આપની કાર્યકુશળતા,તમામ ક્ષેત્રોમાં ઉમદા કાર્ય કરવાની કોઠાસૂઝ અને કંઇક નવું કરવાની જિજ્ઞાસાનો અમને પણ લાભ થયો. ખૂબ ખૂબ અભિનંદન અમરતભાઈ અને શાળા પરિવારને.

    ReplyDelete
  3. આપની મહેનત અને કામ કરવાની આવડતથી અમોને પણ માર્ગદર્શન મળ્યું છે અને હજુ વધારે માર્ગદર્શન મળતું રહેશે એવી આશા રાખું છું. ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

    ReplyDelete
  4. આપની શાળા ની વિગત જાણી ખુબ પ્રભાવિત થયો છું. સ્વ. ગિજુભાઈ ની પ્રરણાને આપ આગળ લઇ જાવો છો આનંદ થયો. અમે શાળાના વિદ્યાર્થીઓ માટે ફ્રી નેચર ટ્રેઇલ કરાવીએ છીએ. જેમાં પક્ષી, પતંગિયા, વૃક્ષો માટે પગદંડી બનાવી તેમને પ્રકૃતિ માટે સંવેદનશીલ કરીએ છીએ. જે ગાંધીનગર અને અમદાવાદની વચ્ચે અમારા ટ્રસ્ટ ની જગ્યા છે. ક્યારેક બાળકોને લઈને પધારો . વોટ્સએપ : 94293 66952 / 8401 676763

    ReplyDelete